બીજાઓ ઉપર દયા કરો
February 10, 2009 Leave a comment
બીજાઓ ઉપર દયા કરો
મહાપુરુષો પાસે પૈસા હોતા નથી અને તેઓ તેની ઈચ્છા પણ રાખતા નથી, કારણ કે દયાથી છલોછલ ભરેલું હ્રદય એમની કુબેરના ભંડારની જેમ કાયમ મોજૂદ રહે છે. કહેવાય છે કે આ દુનિયામાં ગરીબનું કોઈ ઠેકાણું નથી, પરંતુ એક વાત અવશ્ય સમજી લેવી જોઈએ કે જેના દિલમાં દયા નથી તેનું પરલોકમાં કોઈ સ્થાન નથી. ગરીબ માણસ તો કોઈક દિવસ શ્રીમંત બની શકે છે, પરંતુ જે દયાહીન છે તેને તે જ્યાં જશે ત્યાં ધિક્કાર જ મળશે.
સત્યની પ્રાપ્તિ કોને થશે? ઈશ્વરનાં દર્શન કોને થશે? ફક્ત તેને જ થશે કે જેના દિલમાં દયા છે. નિર્દય મનુષ્ય તો અપંગ હોય છે. તે પોતાની પાસે પડેલા ઉત્તમ પદાર્થો પણ લઈ શકતો નથી. અરે, ઓ નિર્દયો ! જરા થોભો.
બીજાઓને સતાવત પહેલાં જરા વિચારો તો ખરા કે જ્યારે તમને પણ આ રીતે સતાવવામાં આવશે ત્યારે તમારી શી દશા થશે? દયાનો ત્યાગ કરીને ક્રૂરતા અને પાપન માર્ગે શા માટે જાઓ છો? શું તમે એટલું પણ જાણતા નથી કે ખરાબ કર્મોનું ફળ તમારે જન્મજન્મોંતરો સુધી ભોગવવું પડશે? ધરતી માતા સાક્ષી છે કે નારકીય દુ:ખો માત્ર પાપીઓએ જ ભોગવવાં પડે છ, દયાળુઓએ નહિ.
જેમના હ્રદયમાં દયા છે તેઓ અંધકારમાં નહીં ભટકે. તેથી હે આંખોવાળાઓ, તમારા દિલમાં દયાનો ભાવ જગાડો. બીજાઓની સાથે દયાપૂર્ણ વ્યવહાર કરો.
-અખંડજયોતિ, ફેબ્રુઆરી-1942 પેજ-13
પ્રતિભાવો