આત્મનિરિક્ષણ અને તેની મહત્તા
April 21, 2009 Leave a comment
આત્મનિરિક્ષણ અને તેની મહત્તા
બીજાઓના ગુણદોષના વિવેચનમાં મનુષ્ય જેટલો સમય બરબાદ કરે છે તેનો એક ટેકો પણ જો આત્મનિરિક્ષણમાં વાપરતો હોય તો તે આદર્શ મનુષ્ય બની જાય. બીજાના દોષો આપણને દેખાય છે, પરંતુ પોતાના દોષો માટે શાંત મનથી ચિંતન કરવું પડે છે. શરીર જોવાનું દર્પણ તો મળે છે, પરંતુ ચારિત્ર્ય જોવાનું દર્પણ હજી સુધી ક્યાંય જોવા મળ્યું નથી અને ન બનશે. જે વ્યક્તિ છિદ્રાન્વેષણ કરે છે તે મોટે ભાગે છૂપાયને કરે છે. પીઠ પાછળ બધાં એકબીજાને સારા કે ખરાબ કહે છે, નિંદા કરે છે. આપણી વાતચીતનો વિષય જ મોટે ભાગે પારકી નિંદા હોય છે. મનમાં ખરાબ ભાવના રાખીને વારંવાર લોકો ખુશામતીભરી પ્રશંસા કરતા રહે છે. આવી પ્રશંસા આત્મનિરિક્ષણ થતું અટકાવે છે. મનુષ્યના ચારિત્ર્યની આ સૌથી મોટી કમજોરી છે કે તે સદા પોતાની પ્રશંસાનો ભૂખ્યો હોય છે. અંતિમ શ્વાસ સુધી પણ મનુષ્યની આ ભૂખ તૃપ્ત થતી નથી.
સચ્ચાઈ તો તે જ છે, જે આપણા અંત:કરણમાં છુપાયેલી છે. પોતાના ગુપ્તચર પોતે બનીને જ આપણે તેની શોધ કરી શકીએ છીએ. આત્મનિરિક્ષણ જ સ્વરૂપને આપણી સામે પ્રગટ કરશે અને ત્યારે આપણે આપણા ચારિત્ર્યમાં સુધારો કરી શકીશું.
આપણો વ્યવહાર જ આપણા ચારિત્ર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે પોતાને પોતાના જ્ઞાનથી નહિં, બલ્કે પોતાના વ્યવહારથી પારખવા જોઈએ.
અખંડજ્યોતિ, ડીસેમ્બર- 1964 પેજ-14
પ્રતિભાવો