પંચવટીમાં સાધના, સમર્થ ગુરુ રામદાસ
July 18, 2023 Leave a comment
પંચવટીમાં સાધના, સમર્થ ગુરુ રામદાસ
આ ઘટના પછી રામદાસે જીવનસાધનામાં લાગી જવાનું જરૂરી માન્યું અને તેઓ ગામથી કેટલાય માઈલની યાત્રા કરીને પ્રસિદ્ધ તીર્થ પંચવટી (નાસિક) પહોંચી ગયા. આ ગોદાવરીના તટે આવેલું ભગવાન રામનું પ્રસિદ્ધ તીર્થ છે. ત્યાં તેઓ હ‘ટાકલી’ નામના સ્થળે રહી જપતપ અને ભજન કરવા લાગ્યા. તેઓ સવારથી બપોર સુધી ગોદાવરીના જળમાં રહી ગાયત્રીના જપ કરતા હતા. બપોર પછી ભિક્ષા માગી ભોજન કરતા તથા ભજન અને જપમાં લાગી જતા. આ રીતે બાર વર્ષ સુધી તપ કરી એમણે ગાયત્રીનાં કેટલાંય પુરશ્ચરણ કરી નાખ્યાં.
આ તપસ્યાના ફળથી તેમની આત્મિક શક્તિ એટલી વધી ગઈ હતી કે એ વિશે એક ઘટના પ્રસિદ્ધ છે. એમની તપોભૂમિ ટાકલીની પાસે જ ‘દશકપેચક’ ગામમાં એક તલાટી રહેતો હતો. તેને ક્ષયરોગ થઈ ગયો અને હાલત ખરાબ થતાં એક દિવસ તે બેહોશ બની ગયો. લોકોએ તેને મરેલો સમજી તેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને તેની અર્થી કાઢી ગોદાવરીના કિનારે લઈ જવા લાગ્યા. તેની યુવાન પત્ની પણ સતી થવાની ઇચ્છાથી તેની પાછળ પાછળ જઈ રહી હતી. રસ્તામાં જ સમર્થ ગુરુ રામદાસની ગુફા આવી અને તે સ્ત્રીએ મહાત્મા સમજી નજીક જઈ પ્રણામ કર્યા. એમણે પરિસ્થિતિ ન જાણવાના કારણે સામાન્ય ભાવે આશીર્વાદ આપી દીધો, “સૌભાગ્યવતી ભવ, પુત્રવતી થાવ”. આ સાંભળી સ્ત્રીએ પતિનો દેહાંત થવાની વાત કહી, પરંતુ રામદાસે સ્ત્રીનાં લક્ષણ જોઈ સમજી લીધું કે આ વિધવા ન હોઈ શકે. આથી એમણે કહ્યું કે તમારો પતિ મરી ન શકે. તેનું ફરીથી સારી રીતે નિરીક્ષણ કરો.
આથી લોકોએ ધ્યાનથી જોયું, તો તેનામાં જીવનનાં લક્ષણો જોયાં. કેટલાક ઉપચાર કરવાથી તે હોશમાં આવ્યો અને પછી ધીરે ધીરે સ્વસ્થ પણ થઈ ગયો. કેટલાંક વર્ષ પછી તેને જે પ્રથમ પુત્ર થયો તેને સમર્થ ગુરુનો શિષ્ય બનાવી દીધો. આગળ જતાં ઉદ્ધવ ગોસ્વામીના નામે તે તેમનો મુખ્ય શિષ્ય બન્યો.
પ્રતિભાવો