AA-05 : બીજો અધ્યાય – આત્મદર્શન, હું કોણ છું ?

બીજો અધ્યાય, હું કોણ છું?

“નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન । – કઠો.૧-૨-૨૩ આ આત્મા પ્રવચનથી, બુદ્ધિથી કે બહુ સાંભળવાથી પ્રાપ્ત થતો નથી.

પ્રથમ અધ્યાય સમજી લીધા પછી તમને ઇચ્છા થઈ હશે કે એ આત્માનાં દર્શન કરવાં જોઈએ, જેને જોયા બાદ આ જગતમાં બીજું કંઈ જોવાનું બાકી રહેતું નથી. આ ઇચ્છા પણ સ્વાભાવિક જ છે. શરીર અને આત્માનો સંબંધ જ એવો છે કે વધુ ધ્યાનથી જોવાથી ઘણી હકીકતો જાણી શકાય છે. શરીર ભૌતિક સ્થૂળ પદાર્થોનું બનેલું છે, પણ આત્મા સૂક્ષ્મ છે. પાણીમાં તેલ રેડીએ તો તેલ ઉપર જ તર્યા કરશે. લાકડાના ટુકડાને તળાવમાં ખૂબ ઊંડે સુધી નાખી આવીએ, તો પણ તે ઉપર આવવા જ પ્રયત્ન કરશે, કારણ કે તેલ અને લાકડાના પરમાણુ પાણીના પરમાણુ કરતાં વધુ સૂક્ષ્મ છે. ગરમી ઊંચે જાય છે. આગની જવાળાઓ ઊંચે ઊઠે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ન તો તેમને નીચે રોકી શકે છે કે ન તો વાયુનું દબાણ તેમને ઉપર જતાં રોકી શકે છે. શરીરની સરખામણીએ આત્મા સૂક્ષ્મ છે, તેથી તે શરીરમાં બંધાઈ રહેલો હોવા છતાં શરીરમાં જ ઓતપ્રોત થવાના બદલે તે ઉપર ઊઠવા જ પ્રયત્ન કરે છે. લોકો કહે છે કે ઇન્દ્રિયોનો ભોગ એને લલચાવે છે, પણ આ વાત સાચી નથી. સત્યનાં દર્શન કરવાની યોગ્ય સગવડ અને શિક્ષણ ન હોવાથી માનવી જખ મારીને પોતાની આંતરિક તૃષ્ણા છિપાવવા વિષયભોગોનો કાદવ પીએ છે. જો તેને એક વાર પણ આત્માનંદનો ચસ્કો લાગી જાય, તો તે ગમે ત્યાં ભટકે જ શા માટે ?

હું જાણું છું કે આ લીટીઓ વાંચતાં તમારું મન જેમ વિરહમાં ઝૂરતો પ્રિયતમ પોતાની પ્રિયતમાના સમાચાર જાણવા ઉત્સુક હોય તેવું ઉત્સુક થઈ રહ્યું છે. આ એકમાત્ર એવી ખૂબ જ મજબૂત સાબિતી છે કે માનવીની આંતરિક ઇચ્છા આત્મસ્વરૂપ ઓળખવા માટેની જ હોય છે. આત્મા શરીરમાં રહેવા છતાં તેની સાથે ઓતપ્રોત થઈ શકતો નથી, પણ અવારનવાર પોતાની કોઈક ખોવાઈ ગયેલી વસ્તુને શોધતો ફરે છે. બસ, ગમે ત્યાં ભટક્યા કરે છે. તેને ખબર નથી કે હું શું શોધું છું ? મારું કંઈક ખોવાઈ ગયું છે એવો અનુભવ કરે છે. ખોવાયેલી વસ્તુના અભાવમાં દુ:ખી થાય છે, પણ માયાના પડદા પાછળ છુપાયેલી એ વસ્તુને તે જાણી શકતો નથી. મન ઘણું ચંચળ છે. તે સહેજ વાર પણ એક જગ્યાએ ચોંટતું નથી. બધા તેની ફરિયાદ તો કરે જ છે, પણ મન આટલું ચંચળ કેમ છે તે કોઈ જાણી શકતું નથી. તે પોતાની ખોવાયેલી વસ્તુ માટે ધમાચકડી મચાવે છે. કસ્તુરી મૃગ કોઈ અદ્ભુત સુગંધ અનુભવી તે મેળવવા દિવસરાત ભાગ્યા કરે છે, ભાગ્યા જ કરે છે. એક ક્ષણનો પણ તે વિશ્રામ કરતું નથી. આવી જ હાલત મનની છે. જો તે જાણી જાય કે કસ્તુરી મારી નાભિમાં જ રહેલી છે, તો તે બધી ચંચળતા છોડી આનંદથી ઝૂમી ઊઠશે.
આત્મદર્શનનો અર્થ પોતાની સત્તા, શક્તિ તથા સાધનોને સાચા સ્વરૂપે મગજમાં એટલી ગાઢ રીતે આંકી લેવાનાં છે કે જિંદગીમાં ક્યારેય તેમને ભૂલી ન જવાય. પોપટના જેવી ગોખણપટ્ટીમાં તમે હોશિયાર થઈ શકો છો, આ પુસ્તકમાં આપ્યું છે તેનાથી દસગણા જ્ઞાન જેટલું ભાષણ તમે આપી શકો છો,સચોટ દલીલો તમે કરી શકો છો, શાસ્ત્રોની ભૂલો તમે શોધી શકો છો, પણ આ બધું આત્મમંદિરના એ દરવાજા સુધી જ જાય છે, જ્યાંથી આગળ ક્યાં જવું, કઈ રીતે જવું એની તમને ખબર પડી શકતી નથી. પોપટ પંડિત ન થઈ શકે. શાસ્ત્રોએ સ્પષ્ટતા કરી છે કે આત્માનો ઉપદેશ બુદ્ધિથી કે બહુ સાંભળવાથી મળી શકતો નથી.” હવે જ્યારે તમે આટલું વાંચી ચૂક્યા છો ત્યારે મને ખાતરી છે કે તમે કોઈનાથી ભરમાઈ તો નહીં જ જાવ. આજે હું તમારી સાથે કોઈ દલીલો કરતો નથી. જો તમને આ વિષયમાં રસ જાગે અને આત્મદર્શનની ઇચ્છા થાય, તો મારી પાસે ચાલ્યા આવો. બાકી તમારો અમૂલ્ય સમય વેડફશો નહીં.

આત્મદર્શનની નિસરણી પર ચઢતા પહેલાં સૌ પ્રથમ તમે સમતળ જમીન પર આવો. જ્યાં આજે તમે ભટકી રહ્યા છો, ત્યાંથી પાછા આવો અને જે જગ્યાને પ્રવેશદ્વાર કહે છે ત્યાં સ્થિર થાવ. માની લો કે તમે તમારું બધું જ્ઞાન ભૂલી ગયા છો અને નવેસરથી કોઈ પાઠશાળામાં દાખલ થઈ બારાખડી શીખી રહ્યા છો. આમાં તમારું અપમાન ન માનો. તમારું અત્યાર સુધીનું જ્ઞાન ખોટું નથી. તમે ઉર્દૂભાષી હો અને ઉર્દૂ ઘણું
ભણ્યા હો તો પણ કે જો તમે હિંદી ભાષા દ્વારા લાભ મેળવવા માગતા હો તો પણ તમે એકદમ એ હિંદી ભાષામાં લખાયેલાં દર્શનશાસ્ત્રો વાંચવા મંડી પડશો નહીં, પણ હિંદી બારાખડી શીખવાની જ શુભ શરૂઆત કરશો. હું મારા માનનીય અને જ્ઞાની જિજ્ઞાસુઓની પીઠ થાબડીને બે ડગલાં પાછા હઠવાનું કહું છું, કારણ કે તેનાથી પ્રથમ નિસરણી પર પગ મૂકી શકશો અને સરળતાથી ઝડપી ગતિએ ઊંચે ચઢવા લાગશો.

તમારે વિચાર કરવો જોઈએ કે જ્યારે “હું” કહું છું ત્યારે “હું” નો શો અર્થ થાય છે ? પશુ, પક્ષી તેમ જ અન્ય અવિકસિત પ્રાણીઓમાં આ “હું”ની ભાવના હોતી નથી. ભૌતિક સુખદુઃખનો તો તેઓ અનુભવ કરે છે, પણ પોતાની બાબતમાં કાંઈ જ વિચારી શકતાં નથી. ગધેડાને એ ખબર નથી કે મારી પીઠ પર આટલો બધો બોજ શા માટે લાદવામાં આવ્યો છે ? બોજ લાદનાર અને મારે શો સંબંધ છે ? કઈ રીતે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે ? આવી કંઈ જ ખબર હોતી નથી. તે તો વધારે બોજ લદાતાં દુઃખનો અને ખોરાક માટે લીલું કુમળું ઘાસ મળે ત્યારે આનંદનો અનુભવ કરે છે, પણ આપણી જેમ તે વિચારી શકતું નથી. આ જીવોમાં શરીર જ આત્મસ્વરૂપ હોય છે. ક્રમશઃ પોતાનો વિકાસ કરતાં કરતાં માનવી આગળ વધ્યો છે, છતાં કેટલા માનવીઓ આત્મસ્વરૂપને જાણે છે ? પોપટના જેવી ગોખણપટ્ટીની વાત અલગ છે. લોકો આત્મજ્ઞાનની ચર્ચા સાંભળી ટેપરેકોર્ડરની જેમ મગજમાં ઠાંસી તો લે છે અને અવારનવાર તેનાં અવતરણો તથા દાખલા ટાંકતા હોય છે. એવા માનવીઓ ઘણા છે, જેઓ આત્મા બાબતે કંઈ જ જાણતા નથી, પણ તેમનામાં વિચારવાની શક્તિ જાગી ગઈ છે. તેમનો સંસાર આહાર, નિદ્રા, ભય, મૈથુન, ક્રોધ, લોભ, મોહ વગેરે સુધી જ મર્યાદિત છે. આ સમસ્યાઓને ઉકેલવાની યોગ્યતા તેમણે પ્રાપ્ત કરી લીધી છે. મૂઢ માનવી વિષયભોગોથી તૃપ્ત થઈ જાય છે, તો પોતાની જાતને બુદ્ધિશાળી ગણાવનારાઓ તેમાં સુંદરતા લાવવા પ્રયત્ન કરે છે. મજૂરને બળદગાડામાં બેસવા મળે તો પોતાનું સૌભાગ્ય સમજે છે, તો ધનવાન મોટરમાં બેસીને પોતાની બુદ્ધિ પર ખુશ થાય છે. વાત એકની એક જ છે. બુદ્ધિનો જે વિકાસ થયો છે તે ભોગવિલાસને ઉન્નત અને વધુ આકર્ષક બનાવવામાં જ થયો છે. સમાજના મોટા ભાગના સભ્ય નાગરિકો માટે શરીર જ આત્મા છે. તેઓ મનના સંતોષ ખાતર ધાર્મિક રૂઢિઓ પાળે છે, પણ તેમને આત્મજ્ઞાન સાથે કોઈ જ સંબંધ નથી. દીકરીના લગ્નમાં પૈઠણ આપવાને પુણ્યકાર્ય માને છે, પરંતુ આવાં પુણ્યકાર્યોથી કયો માણસ પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી શક્યો છે ? યજ્ઞ, તપ, જ્ઞાન, લોકજીવન કે સમાજવ્યવસ્થા માટે તે કરતા રહેવું તે ધર્મ તો છે, પણ તેનાથી આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્મા એટલો સૂક્ષ્મ છે કે રૂપિયા, પૈસા, પુત્ર, પુત્રી, દાન, માન, પૂજા જેવી બહારની વસ્તુઓ તેના સુધી પહોંચવામાં સંપૂર્ણ અસમર્થ છે. પછી આ બધાં દ્વારા આત્મજ્ઞાન કઈ રીતે મેળવી શકાય ?

આત્માની પાસે પહોંચવાનાં જે સાધનો આપણી પાસે છે તે ચિત્ત, અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે જ છે. આત્મદર્શનની સાધના એમના દ્વારા જ થઈ શકે છે. શરીરમાં બધે જ આત્મા વ્યાપેલો છે. તેનું કોઈ વિશેષ સ્થાન નથી. જે રીતે આત્માની આરાધના કરવામાં મન, બુદ્ધિ વગેરે સમર્થ થઈ શકે છે તેવી રીતે તેનાં સ્થાન અને સ્વરૂપનું દર્શન માનસલોકમાં પ્રવેશ કરવાથી જ થઈ શકે છે. માનસલોક પણ સ્થૂળ લોકના જેવો જ છે. તેમાં આ બાહ્ય દુનિયાનો પડછાયો જ મોટા ભાગે જોવા મળે છે. હમણાં આપણે કલકત્તાનો વિચાર કરતા હતા, હવે આપણે હિમાલયના પર્વતની શેર કરવા લાગ્યા. હમણાં જેમનો વિચાર કરતા હતા તે સ્થૂળ કલકત્તા કે હિમાલય ન હતાં, પણ માનસપટ પર વ્યાપ્ત તેની છાયા હતી. આ છાયા ખોટી નથી હોતી. પદાર્થોનું સાચું અસ્તિત્વ ન હોય તો તેમની કલ્પના થઈ શકતી નથી. આ માનસલોકને ભ્રમ ન માનવો જોઈએ. આ તે જ સૂક્ષ્મ ચેતના છે કે જેની મદદથી દુનિયામાં બધાં કાર્યો ચાલે છે. એક દુકાનદારને જે દેશમાંથી માલ ખરીદવાનો હોય તે દેશની યાત્રા પોતાના માનસલોકમાં કરે છે અને માર્ગમાં આવનારી મુશ્કેલીઓને અંગે વિચારી લે છે. આ અડચણો દૂર કરવાના ઉપાયો પણ શોધી લે છે અને પછી જ સ્થૂળ દેહે માલ ખરીદવા પરદેશ જાય છે. ઉચ્ચ આધ્યાત્મિક ચેતનાઓ માનસલોકમાંથી આવે છે. કોઈના મનમાં કેવા ભાવ પેદા થઈ રહ્યા છે ? કોણ આપણા માટે શું વિચારે છે ? આપણો ક્યો સંબંધી કેવી દશામાં છે ? વગેરે વાતોને માનસલોકમાં પ્રવેશ કરીને આપણે ૮૦% જેટલી સાચી રીતે જાણી શકીએ છીએ. આ વાત સાધારણ લોકોના કામકાજની થઈ. લોકો ભવિષ્યને જાણી લે છે, ભૂતકાળની હાલત બતાવે છે, પરોક્ષ જ્ઞાન ધરાવે છે. આ બધી ઈશ્વરીય ચેતનાઓ માનસલોકમાંથી જ આવે છે. આ ચેતનાઓને ગ્રહણ કરી તેમને જીભ દ્વારા પ્રગટ કરવામાં આવે છે. જો આ માનસિક ઇન્દ્રિયો ન હોત તો માનવી ચાલતા ફરતા પૂતળા જેવો, યંત્રમાનવ (રોબોટ) જેવો જ હોત. પાંચ કિલોગ્રામ માટી અને ૧૦ લિટર પાણીથી બનેલા આ પૂતળાનો આત્મા અને સૂક્ષ્મ જગત સાથે સંબંધ જોડનારી ચેતના એ માનસલોક જ માનવી જોઈએ.

હવે મારો પ્રયત્ન એ હશે કે તમે માનસલોકમાં પ્રવેશ કરી આગળ વધો અને ત્યાં બુદ્ધિનાં દિવ્ય ચક્ષુઓ દ્વારા આત્માનું દર્શન કરો અને તેનો અનુભવ કરો. દુનિયાભરના બધા સાધકોનો આ એક જ માર્ગ છે. તત્ત્વદર્શન બુદ્ધિની મદદથી માનસલોકમાં પ્રવેશ કર્યા બાદ જ થાય છે. તેના સિવાય બીજો કોઈ ટૂંકો રસ્તો આજ દિન સુધી કોઈએ શોધી કાઢ્યો નથી. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જ યોગનાં ઉચ્ચ પગથિયાં છે. આધ્યાત્મિક સાધક કે યોગી યમ, નિયમ, આસન, પ્રાણાયામ એમ અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. હઠયોગી નેતિ, ધોતિ, બસ્તિ વગેરે પ્રયોગો કરે છે. અન્ય સાધકો બીજાં સાધનોનો આશરો લે છે. આ બધું શારીરિક મુશ્કેલીઓ દૂર કરવા માટે જ છે. શરીરને તંદુરસ્ત રાખવું એટલા માટે જરૂરી છે કે સ્વાસ્થ્યની તકલીફો માનસિક અભ્યાસમાં અડચણ ઊભી ન કરે. હું મારા સાધકોને શરીરસ્વાસ્થ્ય રાખવાનું કહું છું. આજની પરિસ્થિતિઓમાં શારીરિક કસરતોના કઠોર પ્રયોગોની નકલ કરવાથી કોઈ ખાસ ફાયદો નહીં થાય. ધુમાડાથી ઘેરાયેલા શહેરી વાયુમંડળમાં રહેનાર વ્યક્તિને ઉગ્ર પ્રાણાયામ કરવાની સલાહ આપવી એ ખોટું છે. ફળો અને મેવા ખાઈને પર્વત પ્રદેશની નદીઓનું અમૃતજળ પીનારા અને ઇન્દ્રિયભોગોથી દૂર રહેનારા સ્વસ્થ સાધકો હઠયોગનો જે કઠોર વ્યાયામ કરે છે તેની નકલ કરવાનું તમને કહું તો હું પાપમાં પડીશ અને હકીકતો જાણ્યા વિના એવી શારીરિક કઠોરતા અપનાવતા સાધકો પેલી દેડકીનું ઉદાહરણ બનશે. એક દેડકીએ એક ઘોડાને પગે નાળ જડાવતાં જોયો. તેને પણ ઘોડાની જેમ પગે નાળ જડાવવાનું મન થયું,નાળ જડાવતાં જ દેડકી મરી ગઈ. સ્વસ્થ રહેવાના સામાન્ય નિયમો બધાં જાણે છે. આ નિયમોનું કઠોરતાથી પાલન કરવું જોઈએ. જો કોઈ રોગ હોય તો કુશળ ચિકિત્સક પાસે જઈ તેનો ઈલાજ કરાવવો જોઈએ. આ આત્મજ્ઞાનની સાધના માટે કોઈ એવી ખાસ શારીરિક યોગ્યતાની જરૂર નથી. સ્વસ્થ રહો, હસતા રહો એટલું જ પૂરતું છે.

સારું ! હવે ચાલો સાધના તરફ વળીએ. કોઈ એકાંત સ્થળ શોધો. જ્યાં કોઈ પ્રકારનો ડર અથવા લલચાવનારાં આકર્ષણો ન હોય તે સ્થળ ઉત્તમ છે. તદ્દન એકાંત સ્થળ મળે તો તે શ્રેષ્ઠ જ છે, પણ બધે એવું સ્થળ મળવું શક્ય નથી.

જેથી શક્ય એટલું નિર્જન, શાંત સ્થળ શોધવું જોઈએ. આ કામ માટે રોજ નવું સ્થળ બદલવાના બદલે એક જગ્યા નક્કી કરવી ઉત્તમ ગણાય. વન, પર્વત, નદીનો કિનારો વગેરેની સગવડ ન હોય તો સ્વચ્છ નાનો ઓરડો આ કામ માટે પસંદ કરો, જ્યાં તમારું મન સાધનામાં લાગી જાય. આરામથી બેસો.નાડીઓ પર દબાણ આવે તે રીતે ન બેસો. બિનજરૂરી છાતી કાઢી, ગળું ફુલાવી, હાથ મરડી કે પગને કસીને એકબીજા પર ચડાવી બેસવાનું નથી, કારણ કે આવી અવસ્થાને લીધે તમારા શરીરને દુઃખ થશે, પીડા થશે અને શરીર વારંવાર આ પીડાની ફરિયાદ મનને જણાવી તેને વિચલિત કરી નાખશે. શરીરને બિલકુલ ઢીલું કરી નાખવું જોઈએ, જેથી માંસપેશીઓ શાંત રહે અને શરીરનો પ્રત્યેક ભાગ શિથિલતા, શાંતિ અને આરામનો અનુભવ કરે. આ રીતે બેસવા માટે આરામખુરશી સારી છે. ખાટલા પર આડા પડવાથી પણ કામ ચાલશે. માથું ઊંચું ટેકવવું જરૂરી છે. ઓશીકા અથવા અન્ય કોઈ વસ્તુનો ટેકો લઈ દીવાલના આધારે પણ બેસી શકાય. તમને જે રીતે માફક આવે તે રીતે બેસો, પણ એ સતત ખ્યાલ રાખો કે શરીર રૂના ઢગલાની જેમ ઢીલું રહે અને કોઈ પણ અવયવની સારસંભાળ માટે સહેજેય પ્રયત્ન ન કરવો પડે. આ અવસ્થામાં જો સમાધિ આવવા લાગે તો શરીર ગમે તે બાજુ ઢળી પડે તેવી બીક ન રહે એ રીતે બેસી શરીરને આરામ અને મનને શાંતિ અનુભવવા દો. શરૂઆતમાં આ અભ્યાસ ખાસ પ્રયત્નોથી કરવો પડે છે. પછી ટેવ પડી જતાં સાધક જ્યારે ઇચ્છે ત્યારે શાંતિનો અનુભવ કરી શકે છે. પછી ભલે તે ગમે તે સ્થળે તથા ગમે તેવી અવસ્થામાં હોય. સાવધાન રહો. આ દશા તમને સ્વપ્ન જોવા માટે કે કલ્પનાજગતમાં ઇચ્છો ત્યાં ઊડવા માટે બતાવી નથી કે કોઈ ઇન્દ્રિયવિકારને આ એકાંત જંગલમાં કબડ્ડી રમવા દેવા પણ નથી બતાવી. ધ્યાન રાખો. તમારી આ ધ્યાનાવસ્થાને પણ નિયંત્રણમાં રાખવાની ટેવ પાડવાની છે, જેથી તમે જ્યારે ઇચ્છો ત્યારે આ અવસ્થામાં આવી શકો. આગળ જતાં આ ધ્યાનાવસ્થા ચેતનાનું જ એક અંગ બની જશે, પછી હંમેશાં તેની જાતે જ આવી જશે. તે વખતે તેને ધ્યાન દ્વારા લાવવી નહિ પડે. આના લીધે ભય, દુઃખ,ક્લેશ, શંકા, ચિંતા વગેરેમાં પણ સાધક અનાયાસે આવી ધ્યાનમુદ્રામાં આવી જતાં દુઃખ, ક્લેશથી બચી જશે.

હા, તો ઉપરોક્ત ધ્યાનાવસ્થામાં આવી તમારા બધા કે વિચારોને ‘હું’ પર એકઠા કરો. કોઈ બહારની વસ્તુ કે કોઈ વ્યક્તિ સંબંધે બિલકુલ વિચાર ન કરશો. ભાવના એવી કરો કે મારો આત્મા વાસ્તવમાં એક સ્વતંત્ર પદાર્થ છે. તે અનંત બળવાન, અવિનાશી તથા અખંડ છે. તે એક સૂર્ય છે, જેની આજુબાજુ મારો પોતાનો સંસાર ફરી રહ્યો છે. જેવી રીતે આ સૃષ્ટિમાં સૂર્યની ચારે બાજુ બધા ગ્રહો નિરંતર ફર્યા કરે છે તે રીતે મારો સંસાર મારા આત્માની ચારેય બાજુ ફરી રહ્યો છે. પોતાને સૂર્ય જેવું પ્રકાશવાન કેન્દ્ર માનો. પોતાના માનસલોકરૂપી આકાશમાં પોતાના આત્માને સૂર્યરૂપ માની કેન્દ્રની જેમ સ્થિર થાઓ અને આત્મા સિવાય બીજી બધી વસ્તુઓને ગ્રહોની જેમ તમારા આત્માની આજુબાજુ ફરતી નિહાળો. તે બધી મારાથી બંધાયેલી છે, હું તેમનાથી બંધાયેલો નથી. મારી શક્તિથી હું આ બધાનું માર્ગદર્શન કરી રહ્યો છું, સંચાલન કરી રહ્યો છું, છતાં તે વસ્તુઓ મારી નથી કે હું પોતે તે વસ્તુઓ નથી. સતત પરિશ્રમથી, અનુભવથી થોડા દિવસો બાદ આ ચેતના દઢ બનશે.

આ ભાવના પણ જુઠ્ઠી કે કાલ્પનિક નથી. વિશ્વનો દરેક જડ-ચેતન પરમાણુ બરાબર ફર્યા કરે છે. સૂર્યની આસપાસ પૃથ્વી વગેરે ગ્રહો ફરે છે અને સમગ્ર મંડળ એક અદૃશ્ય ચેતનાની પરિક્રમા કરે છે. હૃદયની ચેતનાના લીધે લોહી આપણા શરીરની પરિક્રમા કરે છે. શબ્દ, શક્તિ, વિચાર કે અન્ય પ્રકારના ભૌતિક પરમાણુઓનો ગુણ પરિક્રમા કરતાં કરતાં આગળ ધપવાનો છે. આપણી આજુબાજુ પ્રકૃતિનો આ સ્વાભાવિક ગુણ પોતાનું કામ કરે છે. જે પરમાણુને આપણી જરૂર હશે તે સ્વાભાવિક રીતે આપણી આજુબાજુ ફરશે, કારણ કે ચેતનાનું કેન્દ્ર આપણે છીએ. આ સ્વાભાવિક ચેતનાને હૃદયમાં કંડારી લેવાથી તમને તમારામાં કોઈ વિચિત્ર પરિવર્તન જણાશે. તમને એવું લાગશે કે ચેતનાનું કેન્દ્ર હું છું અને મારો સંસાર, મને સંબંધિત ભૌતિક પદાર્થો બધું મારી આજુબાજુ ફરી રહ્યું છે. મકાન, કપડાં, ઘરેણાં, ધનદોલત બધાં મને સંબંધિત તો છે, મને લાગેવળગે છે, પણ તે મારામાં ઘૂસી શક્યાં નથી. મારાથી બિલકુલ અલગ છે. પોતાને ચેતનાનું કેન્દ્ર માનનારો પોતાને માયાથી સંબંધિત તો માને છે, પણ પાણીમાં પડેલા કમળના પાનની જેમ સહેજ ઊંચે ઊઠેલો રહે છે, તેમાં ડૂબતો નથી. જ્યારે તે પોતાને તુચ્છ, અશક્ત અને બંધાયેલા જીવના બદલે ચેતનસત્તા અને પ્રકાશપુંજ માને છે ત્યારે તેને અનુરૂપ વસ્ત્રો તથા અલંકારો મળી જાય છે. બાળક મોટું થાય છે ત્યારે તેના નાનાં કપડાં ઉતારી નાખવામાં આવે છે. પોતાને હીન, નીચ અને અભિમાની તુચ્છ જીવ માનશો ત્યાં સુધી એને લાયક જ કપડાં તમને મળશે. લાલચ, ભોગેચ્છા, કામેચ્છા, સ્વાર્થ વગેરે ગુણો તમારે પહેરવા જ પડશે, પણ જ્યારે પોતાના સ્વરૂપને મહાન માનશો ત્યારે આ કપડાં નિરર્થક બની જશે. નાનું બાળક પહેરેલાં કપડાંમાં ઝાડો-પેશાબ કરવામાં કંઈ લાજશરમ અનુભવતું નથી, પણ એ જ બાળક મોટું થતાં જો ભૂલેચૂકેય પહેરેલાં કપડાંમાં ઝાડોપેશાબ કરી નાખે તો શરમાઈ જાય છે. તેને ઘૃણા ઉત્પન્ન થાય છે. કોઈ બીમારીને લીધે તે આવું કરે તે બનવાજોગ છે. આમ છતાંય તેને જાત પર ધિક્કાર થશે. નીચ વિચાર, હીન ભાવનાઓ, પાવિક ઇચ્છાઓ અને સ્વાર્થ એ એવા ગુણ છે, જેમને જોઈ આત્મચેતનામાં વિકસિત થયેલો માનવી ઘૃણા અનુભવે છે. તેને તેના શરીરને અનુરૂપ ગુણો મળી જ જાય છે. ઉદારતા, વિશાળતા, દયા, સહાનુભૂતિ વગેરે જ એને લાયક વસ્ત્રો બની રહે છે. દેડકો મોટો થતાં જ તેની લાંબી પૂંછડી આપોઆપ ખરી જાય છે તેવી રીતે દુર્ગુણો વિદાય લે છે અને વયોવૃદ્ધ હાથીના દાંતની જેમ સદ્ગુણો ધીમે ધીમે વધ્યા કરે છે. પોતાને પ્રકાશપુંજ અનુભવવા માત્ર દલીલો કે તર્કથી કામ ન ચાલે કારણ કે આપણી દલીલો આંધળી અને લંગડી હોય છે. જેમને આપણે પિતાજી કહીને બોલાવીએ છીએ, એ જ આપણા સાચા પિતા છે એવું દલીલોના આધારે સાબિત કરી શકાતું નથી. આથી યોગાભ્યાસના દૈવી અનુષ્ઠાનમાં આવી દલીલોનો ત્યાગ કરવો પડે છે અને ધારણા, ધ્યાન અને સમાધિ અપનાવવાં પડે છે. થોડા સમય માટે આ દલીલોને વિદાય આપો. વિશ્વાસ રાખો. આ લીટીઓનો લેખક તમે ફસાઈ જાવ કે કોઈ નુકસાન થાય એવો માર્ગ બતાવતો નથી. તેમને ચોક્કસ વિશ્વાસ છે અને તે સોગંદપૂર્વક તમને કહે છે કે, “મારા પર વિશ્વાસ રાખનાર સાધક ! આ સાચો રસ્તો છે, મારો જોયેલો રસ્તો છે. આવ, મારી પાછળ પાછળ ચાલ્યો આવ, તને ક્યાંય ધકેલી નહીં દઉં, પણ એક સાચા સ્થળે પહોંચાડી દઈશ” ધ્યાનાવસ્થામાં આ સાધના વારંવાર કરી માનસલોકમાં પ્રવેશ કરો. પોતાને સૂર્ય સમાન પ્રકાશમાન સત્તાના રૂપમાં જુઓ અને તમારો સંસાર તમારી આજુબાજુ ફરતો નિહાળો. આ અભ્યાસ સતત કરતા રહો અને હૃદય પર પણ આંકી લો. ઉપરાંત એ કક્ષાએ પહોંચો કે જ્યાં તમે કહો કે ‘હું’, તો તેની સાથે જ મનમાં ચેતના, વિચાર, શક્તિ અને પ્રતિભા સાથેનું કેન્દ્ર સ્વરૂપ ચિત્ર પણ જાગે, સંસાર પર દૃષ્ટિ કરો તો તે આત્મસૂર્યની પરિક્રમા કરતો દેખાય.

ઉપરોક્ત આત્મદર્શનમાં સહેજ ઝડપ આવે એ માટે એક બીજી વિધિ બતાવું છું. ધ્યાનની અવસ્થામાં બેસી પોતાના જ નામનો વારંવા૨, ધીમે ધીમે ગંભીરતાથી અને સ્વેચ્છાએ જપ કરો. આ અભ્યાસથી મન આત્મસ્વરૂપ પર એકાગ્ર થશે. લોર્ડ ટેનિસને પોતાની આત્મશક્તિ આ રીતે જાગૃત કરી હતી. તેઓ લખે છે : આ ઉપાયથી મેં થોડુંક આત્મજ્ઞાન મેળવ્યું છે, પોતાની વાસ્તવિકતા અને અમરતાને જાણી છે અને મારી ચેતનાના મૂળ સ્રોતનો અનુભવ કરી લીધો છે.

કેટલાક જિજ્ઞાસુઓ આત્મસ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં “હું” ને શરીર સાથે જોડી દઈ ખોટી ધારણા કરે છે, જેના લીધે તેમની સાધના નિષ્ફળ જાય છે. આ મુસીબત દૂર કરવી જરૂરી છે. ધ્યાનાવસ્થામાં ભાવના કરો કે હું શરીરથી અલગ છું. શરીરનો ઉપયોગ માત્ર વસ્ત્ર અથવા તો હથિયાર તરીકે કરું છું. શરીરને પહેરવાનાં કપડાં તરીકે માનવા પ્રયત્ન કરો. અનુભવ કરો કે શરીરનો ત્યાગ કર્યા પછી પણ‘હું’ તો મોજૂદ જ છું. શરીરનો ત્યાગ કર્યા બાદ તેનાથી ઊંચા સ્થળેથી શરીરને જોવા પ્રયત્ન કરો. શરીરને એક ખાલી માળાના રૂપમાં જુઓ, જેમાંથી તમે સહેલાઈથી આવ જા કરી શકો છો. એવો અનુભવ કરો કે શરીરના પેલા ખાલી ખોખાને હું જ સ્વસ્થ, બળવાન, દૃઢ અને ગતિશીલ બનાવું છું, શરીર પર હું જ રાજ્ય કરું છું અને મારી પોતાની ઈચ્છા અનુસાર તેને ઉપયોગમાં લઉં છું. હું શરીર નથી, તે મારું વસ્ત્ર જ છે. જેમ ભાડાના કોઈ મકાનમાં આપણે વિશ્રામ કરતા હોઈએ, તે જ રીતે આપણે આપણા શરીરમાં વિશ્રામ કરીએ છીએ એમ માનો. શરીર ભૌતિક પરમાણુઓનું બનેલું છે અને અણુઓને હું જ આકર્ષિત કરી રહ્યો છું. ધ્યાનમાં શરીરને સંપૂર્ણ ભૂલી જાઓ અને ‘હું’ પર સમગ્ર ભાવના કેન્દ્રિત કરો. ત્યારે તમને ખબર પડશે કે આત્મા શરીરથી અલગ છે. આ અનુભવ કરી લીધા બાદ જ્યારે તમે ‘મારું શરીર’ શબ્દો વાપરશો ત્યારે તે અગાઉના કરતાં કોઈક જુદા જ અર્થમાં વાપરતા હશો.

આ ભાવનાનો અર્થ એવો નથી કે તમે શરીરની ઉપેક્ષા કરવા માંડો.આ તો મહા અનર્થ થશે. શરી૨ને આત્માનું પવિત્ર મંદિર માનો. તેની રીતે રક્ષા કરો, સ્વસ્થ અને સુદૃઢ બનાવો, એ તમારું પરમ કર્તવ્ય છે.

શરીરથી અલગ થવાની ભાવના જ્યાં સુધી સાધારણ રહે છે ત્યાં સુધી સાધકને મનોરંજન મળે છે, પણ જેવી તે દૃઢ બને છે કે તરત જ મૃત્યુ થયા જેવો અનુભવ થાય છે અને સાધના સ્થળે બેઠાં બેઠાં ખુલ્લી આંખે જે વસ્તુઓ જોઈ શકતા નથી તે વસ્તુઓ દેખાશે. સૂક્ષ્મ જગતની થોડી ધૂંધળી ઝલક દેખાય છે અને કેટલીક પરોક્ષ વાતો તથા દૈવી દશ્ય દેખાવા માંડે છે. આવી સ્થિતિમાં સાધક ગભરાઈ જાય છે. આમાં ડરવા જેવું સહેજેય નથી. સાધનામાં ઝડપી પ્રગતિ અને કોઈ પૂર્વસંચિત સંસ્કારોને લીધે આ ચેતનાને સહેજ ઢંઢોળતાં તે એકદમ જાગૃત થઈ ગઈ છે. આ અવસ્થાએ ક્રમશઃ અભ્યાસથી પહોંચીએ ત્યારે કોઈ નવાઈ લાગતી નથી. સાધનાની ઉચ્ચ શ્રેણીએ પહોંચતા કોઈ પણ અભ્યાસીને તે યોગ્યતા મળી જાય છે, જેના વડે તે શરીરથી ઊંચે ઊડી શકે છે અને શરીરમાં રહી જે દૃશ્યો જોવાં અશક્ય છે તે બધાં જોઈ શકે છે. આ અવસ્થામાં અભ્યાસી શરીરનો સંબંધ તોડી નાખતો નથી. જેવી રીતે કોઈ ઓરડામાં બેઠેલી વ્યક્તિ બહાર શું ચાલી રહ્યું છે તે જોવા ઓરડાની બારીમાંથી ડોકિયું કરવા પોતાની ડોક બહાર કાઢે છે અને જોઈ લીધા બાદ પોતાની ઇચ્છા મુજબ ડોક અંદર ખેંચી લે છે તે રીતે આ સાધનાનો અભ્યાસી કરી શકે છે. નવા સાધકોને આવો અનુભવ જગાડવાની પરવાનગી આપતો નથી, કારણ કે આ તો ઘણા આગળ વધ્યા બાદનો અનુભવ છે. ઉચિત સમય આવશે ત્યારે હું પરોક્ષ દર્શનનું શિક્ષણ પણ આપીશ. અહીં તો માત્ર એટલા માટે આનો ઉલ્લેખ કર્યો છે, જેથી કોઈ સ્વયંભૂ આવી ચેતના જાગે તો તેવા વખતે તે ગભરાઈ ન જાય.

જીવ અમર છે એવું મોટા ભાગના લોકો માને છે. એ લોકોએ એ જાણવું જોઈએ કે આ વાત કોઈ આધાર વિનાની નથી, પણ સાબિત કરી શકાય તેવી છે. તમે ધ્યાનમુદ્રામાં એવી કલ્પના કરો કે ‘હું’ મરી ગયો. કહેવા સાંભળવામાં તો આ વાત સામાન્ય જણાય છે. જે સાધકોએ પાછલાં પાનાંની વિગતો પ્રમાણે ભાવનાઓનો અભ્યાસ કર્યો છે તેમના માટે આ મરી જવાની કલ્પના મુશ્કેલ નથી, પણ જ્યારે તમે આવું કરવા બેસશો ત્યારે કહેશો કે તે અવસ્થામાં જવાતું નથી. આવી કલ્પના કરવી અશક્ય છે. તમે શરીરના મરી જવાની કલ્પના કરી શકો છો, પણ સાથે જ ખબર પડશે કે તમારો ‘હું’ મર્યો નથી, પણ દૂર ઊભો ઊભો મૃત શરીરને જોઈ રહ્યો છે. આ રીતે ખ્યાલ આવશે કે કોઈપણ રીતે ‘હું’ મરી જવાની કલ્પના કરી શકતા નથી. વિચારબુદ્ધિ જીદ પકડે છે કે આત્મા મરી શકતો નથી. તેને જીવના અમરત્વ પર પૂરો વિશ્વાસ છે અને ગમે તેટલો પ્રયત્ન કરો, પણ તે પોતાના અનુભવનો ત્યાગ કરવા તૈયાર નહીં થાય. કોઈ આઘાત લાગીને કે ક્લોરોફોર્મ સૂંધીને બેભાન થઈ જઈએ, તો પણ ‘હું’ તો જાગૃત જ રહે છે. જો આમ ન થતું હોત તો જાગૃત અવસ્થામાં આવતાં જ તેને કેમ ખબર પડી જાય છે કે પોતે કેટલો સમય બેહોશ રહ્યો ? બેભાન અવસ્થા કે નિદ્રાની કલ્પના થઈ શકે છે, પણ જ્યારે ‘હું’ના મોતની વાત આવે છે ત્યારે ચારે બાજુએથી તેના અસ્વીકારનો પડઘો જ પડ્યા કરે છે. આ કેટલા આનંદની વાત છે કે જીવ પોતે અખંડ અને અમર હોવાની સાબિતી આપણી અંદર જ સુદૃઢ રીતે ધારણ કરીને બેઠો છે.

પોતાને અમર, અખંડ, અવિનાશી અને ભૌતિક લાગણીઓથી અવિચલિત માનવો એ આત્મદર્શનનું જરૂરી પાસું છે. આની અનુભૂતિ કર્યા વિના સાચો આત્મવિશ્વાસ થતો નથી અને જીવ પોતે લાંબા કાળથી સેવેલી તુચ્છતાની ભૂમિકામાં લપસી પડે છે, અભ્યાસનો બધો પ્રયત્ન ધૂળમાં મળી જાય છે. એટલા માટે એકાગ્રતાપૂર્વક સાચી રીતે અનુભવ કરો કે હું અવિનાશી છું. આ અનુભવ બરાબર ન કરી શકો ત્યાં સુધી આગળ ના વધો. થોડા આગળ વધો કે તરત જ તમારા સ્વરૂપની ફરીથી પરીક્ષા લો. આ ભાવના આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં ઘણી મદદરૂપ નીવડે છે.

ધ્યાનાવસ્થામાં આત્મસ્વરૂપને શરીરથી અલગ કરો અને ક્રમશઃ તેને આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વીની પરીક્ષામાંથી સફળતાપૂર્વક બહાર નીકળતો જુઓ. કલ્પના કરો કે મારા શરીરની ઝંઝટ છૂટી ગઈ છે અને હું સ્વતંત્ર થઈ ગયો છું. હવે તમે આકાશમાં ઇચ્છાપૂર્વક પક્ષીની જેમ ઊંચે નીચે જ્યાં ઇચ્છો ત્યાં ઊડી શકો છો. હવાના વેગથી તમારી ગતિમાં કોઈ અવરોધ આવતો નથી અને હવાના અભાવે જીવ જોખમમાં પણ મુકાતો નથી. કલ્પના કરો કે ઘણી તીવ્ર અગનજ્વાળા સળગી રહી છે અને તમે તેમાંથી હસતા મોંએ પસાર થઈ જાઓ છો. જીવને આગ કઈ રીતે સળગાવી શકે ? આગની ગરમી તો માત્ર શરીરને ઈજા પહોંચાડી શકે છે. આ રીતે પાણી અને પૃથ્વીની અંદર પણ જીવ પહોંચી શકે છે. કોઈ પણ તત્ત્વ તમને સ્પર્શી શકતું નથી અને તમારી સ્વતંત્રતામાં સહેજ પણ અડચણ પેદા કરતું નથી.

આ ભાવનાથી આત્માનું સ્થાન શરીરથી માત્ર ઊંચે જ ઊઠતું નથી, પર શરીરને પ્રભાવિત કરતાં પાંચ તત્ત્વોથી ઊંચે ઊઠે છે. જીવ જુએ કે હું દેહ નથી, પણ દેહના નિર્માતા પંચતત્વથી પણ પર છું. અનુભવની આ ચેતનામાં પ્રવેશ કરતાં તમને ખાતરી થશે કે તમારો નવો જન્મ થયો છે. તમારી અંદર નવીન શક્તિનો સંચાર થતો અનુભવાશે. હવે એવો વિશ્વાસ થશે કે જે વસ્તુઓથી અત્યાર સુધી હું ડર્યા કરતો હતો તે વસ્તુઓ મને ડરાવી શકતી નથી. તે બધાંનો પ્રભાવ માત્ર શરીર સુધી છે. જ્ઞાન અને ઇચ્છાશક્તિ દ્વારા શરીર માટેનો આ ભય પણ દૂર કરી શકાય છે.

વારંવાર સમજી લો. પ્રાથમિક શિક્ષણનો બીજમંત્ર ‘હું’ છે. આનો પૂરો અનુભવ કરી લીધા પછી જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ ધપી શકશો. તમારે અનુભવ કરવો પડશે કે તમારી સત્તા શરીરથી અલગ છે. પોતાને સૂર્ય સમાન શક્તિનું એક વિરાટ કેન્દ્ર માનો. તેની આજુબાજુ તમારો સંસાર ઘૂમી રહ્યો છે તે જુઓ. આનાથી નવીન શક્તિ આવશે, જેનો અનુભવ તમારી નજીકનાં બધાં જ કરી શકશે. તમે જાતે સ્વીકાર કરશો કે હવે હું સુદૃઢ થઈ ગયો છું અને જીવનની આંધીઓ મને વિચલિત કરી શકતી નથી. એટલું જ નહીં, એનાથી પણ આગળ વધી શકશો. પોતાની આત્મિક ઉન્નતિ દ્વારા તમે જીવનની એ આંધીઓને શાંત કરી શકશો અને તેના પર તમારી હકુમત, તમારું રાજ્ય પણ સ્થાપી શકશો.

આત્મજ્ઞાની દુનિયાનાં ભયાનક દુ:ખો વચ્ચે પણ હસતો રહે છે અને એ દુઃખોનો આનંદ માણતાં દુ:ખોને કહેશે “જાઓ, ચાલ્યાં જાઓ, જે અંધકારમાંથી તમે ઉત્પન્ન થયાં છો તેમાં વિલીન થઈ જાઓ.’ ધન્ય છે તે સાધક, જેણે ‘હું’ ના બીજમંત્રની સિદ્ધિ મેળવી લીધી છે.

જિજ્ઞાસુઓ ! શરૂઆતના આ શિક્ષણનો અભ્યાસ કરવા હવે મારાથી વિખૂટા પડી જાઓ. પ્રગતિ ધીમી લાગે તો ઉતાવળ ન કરશો. આગળ ધપવામાં ડગ પાછાં પડે તો નિરાશ પ્રભાવ માત્ર શરીર સુધી છે. જ્ઞાન અને ઇચ્છાશક્તિ દ્વારા શરીર માટેનો આ ભય પણ દૂર કરી શકાય છે. વારંવાર સમજી લો. પ્રાથમિક શિક્ષણનો બીજમંત્ર ‘હું’ છે. આનો પૂરો અનુભવ કરી લીધા પછી જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ ધપી શકશો. તમારે અનુભવ કરવો પડશે કે તમારી સત્તા શરીરથી અલગ છે. પોતાને સૂર્ય સમાન શક્તિનું એક વિરાટ કેન્દ્ર માનો. તેની આજુબાજુ તમારો સંસાર ઘૂમી રહ્યો છે તે જુઓ. આનાથી નવીન શક્તિ આવશે, જેનો અનુભવ તમારી નજીકનાં બધાં જ કરી શકશે. તમે જાતે સ્વીકાર કરશો કે હવે હું સુદૃઢ થઈ ગયો છું અને જીવનની આંધીઓ મને વિચલિત કરી શકતી નથી. એટલું જ નહીં, એનાથી પણ આગળ વધી શકશો. પોતાની આત્મિક ઉન્નતિ દ્વારા તમે જીવનની એ આંધીઓને શાંત કરી શકશો અને તેના પર તમારી હકુમત, તમારું રાજ્ય પણ સ્થાપી શકશો.

આત્મજ્ઞાની દુનિયાનાં ભયાનક દુ:ખો વચ્ચે પણ હસતો રહે છે અને એ દુઃખોનો આનંદ માણતાં દુ:ખોને કહેશે “જાઓ, ચાલ્યાં જાઓ, જે અંધકારમાંથી તમે ઉત્પન્ન થયાં છો તેમાં વિલીન થઈ જાઓ.’ ધન્ય છે તે સાધક, જેણે ‘હું’ ના બીજમંત્રની સિદ્ધિ મેળવી લીધી છે.

જિજ્ઞાસુઓ ! શરૂઆતના આ શિક્ષણનો અભ્યાસ કરવા હવે મારાથી વિખૂટા પડી જાઓ. પ્રગતિ ધીમી લાગે તો ઉતાવળ ન કરશો. આગળ ધપવામાં ડગ પાછાં પડે તો નિરાશ ન થશો. આગળ જતાં તમને બમણો લાભ મળશે. સિદ્ધિ અને સફળતા તમારા માટે છે, તે તમને મળવાની જ છે.

વધો, શાંતિ સાથે થોડો પ્રયત્ન કરો.

ઃ યાદ રાખો :

– હું શક્તિ અને પ્રતિભાનું કેન્દ્ર છું.

– હું વિચાર અને શબ્દશક્તિનું કેન્દ્ર છું.

– મારો સંસાર મારી ચારે બાજુ ફરી રહ્યો છે.

– હું શરીરથી અલગ છું. – હું અવિનાશી છું. મારો નાશ થઈ શકે નહીં.

– હું અખંડ છું. મારું કશું જ બગડી શકે નહીં.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: