ગુરુદેવ અને મહાત્મા આનંદ સ્વામી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૧
September 15, 2011 Leave a comment
ગુરુદેવ અને મહાત્મા આનંદ સ્વામી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૧
મહાત્મા આનંદ સ્વામી જેઓ આર્ય સમાજના પ્રમુખ અને ગાયત્રીના સિદ્ધ સાધક હતા, તેઓ ગુરુદેવની પાસે આવતા રહેતા હતા. ઉંમરમાં ગુરુદેવ કરતાં મોટા હતા, જ્યારે તેઓ આવતા ત્યારે ગુરુદેવ તેમનાં ચરણસ્પર્શ કરતા હતા. તેઓ ઝડપથી ગુરુદેવને ભેટી પડતા અને કહેતા કે ગાયત્રી અને યજ્ઞનો જેટલો વિસ્તાર તે કર્યો છે એટલો તો આખો સંતસમાજ પણ કરી શક્યો નથી. આજે ગાયત્રી અને યજ્ઞને તેં ઘરે ઘરે પહોંચાડી દીધાં છે. સ્વામીજી જ્યારે પણ ગુરુદેવ પાસે આવતા, ત્યારે ફૂલોની એક મોટી માળા લાવતા અને ગુરુદેવને પહેરાવતા. સાથેસાથે ફળોથી ભરેલી એક ટોપલી પણ લાવતા.
જ્યારે જ્યારે પણ સ્વામીજી ગુરુદેવને મળતા, આંખો આંસુથી છલકાઈ ઊઠતી અને કહેતા, શ્રીરામ ! તું જે રીતે સમાજની સેવા કરી રહ્યો છે તેનાથી મને ઘણો જ સંતોષ છે. તું એકલો જેટલું કામ કરી રહ્યો છે એટલું અમે સૌ મળીને પણ કરી શકતા નથી. ગુરુદેવ પ્રત્યે સ્વામીજીને ઘણી જ શ્રદ્ધા હતી. સ્વામીજીના વિષયમાં ગુરુદેવ કહેતા કે અમે સાકાર ઉપાસના કરીએ છીએ, મૂર્તિપૂજા કરીએ છીએ. સ્વામીજીની તરફ ઈશારો કરી કહેતા કે, આજે ગાયત્રી માતા મારી ઉપર એટલાં બધાં પ્રસન્ન છે કે સ્વયં અમને દર્શન આપવા આવ્યાં છે અને જેવા તેમના ચરણસ્પર્શ કરતા કે સ્વામીજી ગુરુદેવને આલિંગન આપતા. ગુરુદેવ સ્વામીજીને કહેતા કે આપ તો સાક્ષાત્ ગાયત્રી માતા છો અને સ્વામીજી ગુરુદેવને કહેતા કે તારા જેવો ગાયત્રી ભક્ત મેં જોયો નથી. તું ગાયત્રીનો સૌથી મોટો ભક્ત છે. હું પણ ગુરુદેવની સાથે રહેતો હતો અને તેથી મને પણ સ્વામીજીના ચરણસ્પર્શનું સૌભાગ્ય મળતું. સ્વામીજીની સાથે હું જ્યારે પણ વાત કરતો ત્યારે તેઓ મને પણ ઘણો જ આદર આપતા. તેઓ હમેશાં આનંદભર્યું ખુશખુશાલ જીવન જીવતા હતા. તેમનો સ્વભાવ ઘણો જ હસમુખો હતો. સ્વામીજી હમેશાં કહેતા કે પ્રસન્ન રહેવું હસતા હસાવતા જીવન જીવવું એ જ અધ્યાત્મ છે. ગાયત્રીનો સાચો ઉપાસક એ છે જે હમેશાં હસતો અને હસાવતો રહે છે.
પ્રતિભાવો