૫. દુષ્પરિણામો પ્રત્યે સાવચેતી : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 8, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
દુષ્પરિણામો પ્રત્યે સાવચેતી :
કુમારિકાઓનાં લગ્ન વિધુરો સાથે થવાની શક્યતા નહિવત્ બનતાં વિધવાઓ સાથે એવો પુરુષવર્ગ લગ્નની શક્યતા વિચારતો થશે જ. આજે તો કરોડોની સંખ્યામાં વિધવા બહેનો ચાલ્યા આવતાં બંધનોના કારણે દુઃખી જીવન જીવીને આંસુ સારી રહી છે. એમનો અભિશાપ હિન્દુ સમાજને રક્તપિત્તના રોગની જેમ દિન પ્રતિદિન નષ્ટ કરી રહેલ છે. આ પ્રશ્નની ઉપેક્ષા કરવા જેવી નથી, કારણ કે આજે થતાં લગ્નોમાં પાંચ લગ્નોમાં એકાદ વિધુરનું લગ્ન થતું હોય છે અને એમાં ઉંમરની દૃષ્ટિએ તફાવત એટલો બધો હોય છે કે એવી પરિણીતાના વૈધવ્યની સંભાવના સામે આવીને ઊભી જ હોય છે. કુદરતી મૃત્યુના કારણે થતી વિધવાઓ ક્યાં ઓછી છે કે વળી જાણીબુઝીને સ્ત્રીબાળકોની દયનીય સ્થિતિ ઊભી કરવાનું આયોજન હિન્દુ સમાજ કરે છે ?
સવર્ણ હિન્દુઓમાં વિધવાવિવાહ પર જે પ્રતિબંધ ચાલ્યો આવે છે એનો કોઈ ધાર્મિક કે નૈતિક આધાર નથી. આ સંબંધમાં હું શાસ્ત્રોના આધાર ટાંકીને એક અલગ પુસ્તક લખવા ઇચ્છુ છું. જેમાં એ વાત સ્પષ્ટપણે સાબિત કરેલી હશે કે વિધવા લગ્નો ઉપર શાસ્ત્રોએ પણ કોઈ પ્રતિબંધ ફરમાવ્યો નથી, અરે, એટલું જ નહિ, શાસ્ત્રોએ તો એને સ્પષ્ટ સમર્થન પણ આપ્યું છે. જે વિધુરોને લગ્ન જરૂરી લાગતું હોય એમણે આ બાબતે ધર્મમર્યાદાના ઉલ્લંઘનની શંકા મનમાંથી કાઢી નાખવી જોઈએ. એવી જ રીતે જે મા-બાપોની વિધવા યુવતીઓ લગ્ન યોગ્ય જ હોય તેમણે કોઈપણ પ્રકારના સંકોચ વગર એમનાં પુનર્લગ્ન કરાવી દેવાં જોઈએ. એમાં શાસ્ત્ર, ન્યાય, ધર્મ વગેરે કોઈપણ રીતે અડચણરૂપ નથી. ફક્ત પ્રચલિત રિવાજ અને ખોટી માન્યતાઓની જ અડચણ છે, જેમાં સુધારો કરવો પડશે. આ અંધેર હવે વધુ વખત ચાલવાનું નથી.
પ્રતિભાવો