૧૦. એક વિચારણીય વિકલ્પ : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 13, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
૧૦. એક વિચારણીય વિકલ્પ :
સુશિક્ષિત યુવતીઓ સમક્ષ આ પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરૂપે આવે છે. ગ્રેજ્યુએટ થતાં થતાં તેમની ઉંમર વધી જાય છે. બે-ચાર વર્ષ છોકરો ખોળવામાં જાય અને જો એમાં સફળતા ન મળે તો ઉંમર અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની થઈ જાય. અભણ યુવતીઓને ઓછા દહેજમાં અભણ છોકરો કદાચ મળી જાય.
જો વધુ શિક્ષિત સુયોગ્ય છોકરાની અપેક્ષા હોય તો એવે ઠેકાણે અનેકગણા દહેજની માગણી થતી હોય છે. જે માબાપો માટે સાદાઈથી લગ્ન કરવાં પણ અઘરાં હોય તેઓ એ સુશિક્ષિત લોકોની ધનની માગણી કેવી રીતે પૂરી કરી શકે ? દીકરીનું ભણતર તો ગમે તે રીતે પૂરું કર્યું, પણ હવે લગ્ન માટે આટલો ખર્ચ ક્યાંથી કાઢવો ? વળી એનાથી મોટો વર પણ ક્યાંથી મેળવવો ? આવી બેવડી સમસ્યામાં ગૂંચવાયેલી યુવતીઓએ શિક્ષિકાની નોકરી કરતા રહી આજીવન કુંવારી રહેવાનો નિર્ણય નાછૂટકે કરવો પડે છે. આવી અનેક યુવતીઓની માહિતી મારી પાસે છે જેમને સ્વેચ્છાએ નહિ, પણ વિવશ બની કુંવારા રહેવું પડયું છે. આ સમસ્યાનો ઉકેલ બે રીતે લાવી શકાય. એક તો સુધારાવાદી યુવકો સાહસિક બને. સાથેસાથે ત્યાગની ભાવના કેળવે.
આ જ ગુણો યુવતીઓએ પણ કેળવવા જરૂરી છે. યુવતીઓ પોતાનાથી ઉંમરમાં નાના અને ઓછું ભણેલા યુવકો પણ પસંદ કરે. જેવી રીતે સુયોગ્ય પતિ થોડી ઓછી યોગ્યતાવાળી પત્નીને નિભાવી લે એ જ રીતે થોડી ઓછી યોગ્યતાવાળા પતિને સુયોગ્ય પત્નીએ પણ નિભાવી લેતાં શીખવું પડે. આમ મોટું મન રાખવાથી પ્રશ્ન હલ થઈ શકે. સુશિક્ષિત પત્ની પોતાના પતિની ભણતર બાબતની ઊણપને સહેલાઈથી પૂરી કરી શકે છે. એવી જ રીતે જો પતિ થોડું ઓછું કમાતો હોય તો પોતે નોકરી કરી થોડું વધુ કમાઈ પરિવારનો નિભાવ કરવા સહકાર આપી શકે છે. કમસેકમ પુરુષ સમાજ દ્વારા પ્રચલિત કરવામાં આવેલી એ માન્યતા કે ‘‘વર તો કન્યા કરતાં ઉંમરમાં મોટો અને વધુ ભણેલો હોવો જોઈએ”નો શિકાર ભણેલી યુવતીઓ તો ન જ બને.
જો પત્ની વધારે સુયોગ્ય અને વધુ ભણેલી હોય તો એમાં કોઈને શું નુકસાન થવાનું છે ? પતિપત્નીમાં ભાવનાત્મક સમાનતા અને એકતા હોવી ોઈએ. જે ભાવના હોય તો નાનામોટાનો પ્રશ્ન જ રહેતો નથી. જો આવી ભાવના પેદા થાય તો પોતાનાથી વધારે ઉંમરવાળા સુયોગ્ય અને દહેજની ઇચ્છા ન રાખનારા છોકરા ન મળવાની અનેક સુશિક્ષિત છોકરીઓની સમસ્યાનો ઉક્લ આવી શકે.
પ્રતિભાવો