૧૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યાદગેવ દદૃશે તાદૃગુચ્યતે સં છાયયા દધિરે સિધયાપ્સ્વા । મહીમસ્સભ્યમુરુષામુરુ જયો બૃહાત્સુવીરમનપચ્યુતં સહઃ ॥ (ઋગ્વેદ ૫/૪૪/૬)

ભાવાર્થ : સાચો ઉપદેશક તે છે, જે જેવું આત્મામાં હોય તેવું મનમાં અને જેવું મનમાં હોય તેવું વાણી વડે વ્યક્ત કરે છે. એટલે કે જે પોતાના આચરણમાં ઉતારે તેનો જ ઉપદેશ આપે, જેનાથી બધા લોકોમાં વિદ્યા, બળ અને ધનનો ઉત્કર્ષ થાય. આ જ સદુપદેશ છે.

સંદેશ ભારત ઋષિઓ અને ગુરુઓનો દેશ છે, જ્યાંથી વિશ્વને પ્રકાશ મળતો રહ્યો છે. અહીંના ઋષિઓએ ઉચ્ચ કોટિના વિચાર કરવાની પદ્ધતિ આપી હતી. પહેલાં વિચાર કરવાની પદ્ધતિ ઉચ્ચ કોટિની હતી, એટલે બધાનાં જીવન શ્રેષ્ઠ હતાં. આજે વિચાર કરવાની પદ્ધતિ હલકી કક્ષાની થઈ ગઈ છે. તેના લીધે હલકા વિચાર કરનારા અને સ્વાર્થની ઇચ્છા રાખનારા લોકો દેશના સૂત્રધાર બની ગયા છે અને સમાજમાં એવા જ હલકા વિચારોનો પ્રચાર કરતા રહે છે.

ધર્મના મઠાધીશો અને ઉપદેશકો બ્રાહ્મણત્વ અને અધ્યાત્મનો એવો મતલબ સમજ્યા છે કે ભોળી જનતાને ઊંધોછતો ઉપદેશ આપીને ભરમાવતા રહો. એવા ઉપદેશકોના વિચાર નિમ્ન કક્ષાના હોય છે અને આચરણ પણ નિમ્ન સ્તરનું હોય છે. તેમનો એક જ મૂળમંત્ર છે, “મુંહ મેં રામ ઔર બગલમેં હ્રી’ આજે આપણો સમાજ આ ઉપદેશકોના રૂઢિવાદી ચિંતન અને ભ્રષ્ટ આચરણને લીધે જર્જરિત અવસ્થામાં પહોંચી ગયો છે. તેમના આચરણમાં શ્રેષ્ઠતા ન હોવાના કારણે તેમની વાણીમાં કોઈ પ્રભાવ હોતો નથી અને જો તેઓ કોઈ સારી વાત કરે, તો પણ લોકોના મગજમાં તે વાત ઊતરતી નથી. ગાંધીજી બોલતા હતા તો લાખો લોકોના હૃદય પર અસર થતી હતી. ઉપદેશ આપવો તે એક ખૂબ જ સરળ હથિયાર છે, પણ શરત એ છે કે પહેલાં તેને પોતાના આચરણમાં ઉતારીને પછી ઉદાહરણરૂપે આપવો જોઈએ.

શ્રાવણીપર્વ ઉપર આપણે સપ્તઋષિઓની પૂજા કરીએ છીએ. તે એટલા માટે કરીએ છીએ કે તેમણે આપણને મન, વચન અને કર્મમાં પૂરી ઈમાનદારી રાખી સત્કર્મો કરવાનો ઉપદેશ આપ્યો હતો. તેઓ આપણા આદર્શ પુરુષ છે, પરંતુ આજે બ્રાહ્મણત્વ ડૂબી રહ્યું છે. એટલે આપણા બધા ઉપર ઋષિપરંપરાના પુનર્જીવનની જવાબદારી છે. આપણી ‘કથની અને કરણી’ માં એકરૂપતા લાવવાની જરૂર છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે માનવી ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ ના આદર્શને અપનાવે અને પોતાના હૃદયમાં હંમેશાં શુદ્ધ અને પવિત્ર ભાવનાઓ રાખે. જીવનમાં સાદાઈ રાખવાથી ન તો મન ભૌતિક સમૃદ્ધિની તરફ લલચાય છે કે ન મનમાં ઈર્ષ્યાભાવ જાગૃત થાય છે. લોભ, મોહ તથા ક્રોધની ખરાબ પ્રવૃત્તિઓ આપોઆપ દૂર ભાગી જાય છે. તેમની જગાએ સદ્ગુણોની વૃદ્ધિ થાય છે.

આપણા ઋષિઓએ આ જીવનપદ્ધતિને અપનાવી હતી. હંમેશાં પ્રભુચિંતનમાં મગ્ન રહી લોકહિતનાં કાર્યોમાં તેઓ પોતાને સમર્પિત કરતા હતા. જનતામાં સાત્ત્વિક કલાનો વિકાસ કરવા માટે, તેમને તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બનાવવા તથા વિદ્યાવાન, બળવાન અને ધનવાન બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપતા હતા.

આમાં જ બ્રાહ્મણત્વની સાર્થકતા છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment